(A) સાચા અર્થમાં પૃથ્વી પર ઉદ્દવિકાસ માટેની પ્રાકૃતિક પસંદગી ત્યારે શરૂ થઈ હશે જ્યારે વિવિધ ચયાપચયિક ક્ષમતા ધરાવતા સજીવોના કોષીય સ્વરૂપોની શરૂઆત થઈ હશે.
ડાર્વિનવાદના ઉદ્દવિકાસનો મૂળ સાર પ્રાકૃતિક પસંદગી છે. નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવનચક્ર અથવા જીવનકાળ સાથે સંકળાયેલો હોય છે. ઝડપથી વિભાજન પામતા સૂક્ષ્મ જીવો ઊંચી ગુણનક્ષમતા ધરાવે છે અને કલાકોમાં લાખોની સંખ્યા પ્રાપ્ત કરે છે.
આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતી બેક્ટેરિયાની એક વસાહત (ધારો કે $A$) ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાની ક્ષમતાના સંદર્ભમાં વિવિધતા ધરાવે છે. જો માધ્યમના બંધારણમાં ફેરફાર કરવામાં આવે,તો વસ્તીનો ફક્ત તે જ ભાગ (ધારો કે $B$) બાકી રહેશે જે નવી બદલાયેલી પરિસ્થિતિમાં ટકી શકે છે. એક નિશ્ચિત સમયગાળા દરમિયાન,આ ભિન્નરૂપ ધરાવતી વસ્તી અન્ય કરતા વધશે અને નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવશે.
આ પ્રક્રિયા થોડા દિવસોમાં જ થાય છે. પરંતુ જ્યારે આ જ બાબત મત્સ્ય કે પક્ષીઓ માટે લાગુ પડે ત્યારે તેમાં લાખો વર્ષો લાગે છે,કારણ કે તેમનો જીવનકાળ વર્ષોનો હોય છે. અહીં આપણે કહી શકીએ કે નવી પરિસ્થિતિમાં $B$ ની યોગ્યતા $A$ કરતા વધુ સારી છે. પ્રકૃતિ યોગ્યતાને જ પસંદ કરે છે. એ યાદ રાખવું જરૂરી છે કે,કહેવાતી યોગ્યતાઓ એ લાક્ષણિકતાઓ પર આધારિત છે જે વારસાગત હોય છે.
આથી,પસંદગી અને ઉદ્દવિકાસ માટે જનીનિક આધાર હોવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો,કેટલાક સજીવો બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. અનુકૂલનક્ષમતા વારસાગત હોય છે અને તે જનીનિક આધાર ધરાવે છે. યોગ્યતા એ અનુકૂલન પામવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવાનું અંતિમ પરિણામ છે.
શાખાકીય અવતરણ (branching descent) અને પ્રાકૃતિક પસંદગી એ ડાર્વિનના ઉદ્દવિકાસવાદના બે ચાવીરૂપ ખ્યાલો છે.