(N/A) ભ્રૂણનો વિકાસ ભ્રૂણપુટના અંડછિદ્રીય છેડે થાય છે જ્યાં યુગ્મનજ આવેલું હોય છે. મોટાભાગના યુગ્મનજ ત્યારે જ વિભાજન પામે છે જ્યારે ચોક્કસ માત્રામાં ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. આ વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેની એક અનુકૂલન પદ્ધતિ છે.
જોકે બીજ ખૂબ જ અલગ હોય છે,પરંતુ એકદળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણ વિકાસના પ્રારંભિક તબક્કા સમાન હોય છે.
યુગ્મનજમાંથી પૂર્વભ્રૂણ અને ત્યારબાદ ગોળાકાર,હૃદયાકાર અને પરિપક્વ ભ્રૂણનું નિર્માણ થાય છે.
લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ: એક લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ ભ્રૂણધરી અને બે બીજપત્રોનો બનેલો હોય છે. બીજપત્રોના સ્તરથી ઉપરની ભ્રૂણધરીનો ભાગ ભ્રૂણાગ્રહ છે,જે આદિસ્કંધ અથવા પ્રરોહાગ્રમાં પરિણમે છે. બીજપત્રોના સ્તરથી નીચેનો નળાકાર ભાગ અધરાક્ષ છે,જે તેના નીચેના છેડે ભ્રૂણમૂળ અથવા મૂળાગ્રમાં પરિણમે છે. મૂળાગ્ર મૂળટોપ દ્વારા આવરિત હોય છે.
એકદળી ભ્રૂણ: એકદળી ભ્રૂણમાં માત્ર એક જ બીજપત્ર હોય છે. ઘાસના કુળમાં બીજપત્રને વરુથિકા કહેવામાં આવે છે,જે ભ્રૂણધરીની એક બાજુએ (પાર્શ્વીય) આવેલું હોય છે. તેના નીચેના છેડે,ભ્રૂણધરીમાં ભ્રૂણમૂળ અને મૂળટોપ હોય છે જે એક અવિભેદિત આવરણમાં બંધ હોય છે જેને ભ્રૂણમૂળચોલ કહેવાય છે. વરુથિકાના જોડાણના સ્તરથી ઉપરની ભ્રૂણધરીનો ભાગ ભ્રૂણાગ્રહ છે.
ભ્રૂણાગ્રહમાં પ્રરોહાગ્ર અને થોડા પર્ણ આદિમૂળ હોય છે જે એક પોલા પર્ણીય બંધારણમાં બંધ હોય છે જેને ભ્રૂણાગ્રચોલ કહેવાય છે.