(N/A) અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને ઘણીવાર સંતાપ પમાડે છે. એવી અપેક્ષા રાખી શકાય કે તેના અસ્તિત્વના લાખો વર્ષો દરમિયાન,ઘણી જાતિઓએ એક પ્રમાણમાં સ્થાયી આંતરિક (શરીરની અંદરનું) પર્યાવરણ વિકસિત કર્યું હશે,જે તમામ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ અને દેહધાર્મિક કાર્યોને મહત્તમ કાર્યક્ષમતા સાથે થવા દે છે અને આમ,જાતિની એકંદર યોગ્યતા (fitness) માં વધારો કરે છે.
આ સ્થિરતા દેહજળના ઈષ્ટતમ તાપમાન અને આસૃતિ સાંદ્રતાના સ્વરૂપમાં હોઈ શકે છે. આદર્શ રીતે,સજીવે તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા (સમસ્થિતિ - homeostasis) જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ,ભલે બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ ગમે તેટલી બદલાતી હોય જે તેની સમસ્થિતિને બગાડવાનું વલણ ધરાવે છે.
આ મહત્વપૂર્ણ સંકલ્પનાને સમજવા માટે એક સાદ્રશ્ય (analogy) લઈએ. ધારો કે કોઈ વ્યક્તિ જ્યારે તાપમાન $25^o C$ હોય ત્યારે શ્રેષ્ઠ કાર્ય કરવા સક્ષમ છે અને તે બહાર ગમે તેટલી કાળઝાળ ગરમી કે થીજવી દેતી ઠંડી હોય તો પણ તે તાપમાન જાળવી રાખવા માંગે છે. તે ઘરે,મુસાફરી દરમિયાન કારમાં અને કાર્યસ્થળે ઉનાળામાં વાતાનુકૂલક (air conditioner) અને શિયાળામાં હીટરનો ઉપયોગ કરીને આ પ્રાપ્ત કરી શકે છે. ત્યારે તેની આસપાસના હવામાનને ધ્યાનમાં લીધા વિના તેની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ રહેશે. અહીં વ્યક્તિની સમસ્થિતિ દેહધાર્મિક રીતે નહીં,પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.