(N/A) જલક્ષમતા એ વિવિધ કોષીય પ્રક્રિયાઓ જેવી કે પ્રસરણ અને આસૃતિ દરમિયાન પાણીના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન પામવાની વૃત્તિનું માપન છે. તેને ગ્રીક અક્ષર સાઈ $(\Psi)$ દ્વારા દર્શાવવામાં આવે છે અને તે પાસ્કલ $(Pa)$ જેવા દબાણના એકમોમાં વ્યક્ત કરવામાં આવે છે. પ્રમાણિત તાપમાન અને દબાણે શુદ્ધ પાણીની જલક્ષમતા શૂન્ય ગણવામાં આવે છે.
જલક્ષમતા $(\Psi_{W})$ એ દ્રાવ્ય ક્ષમતા $(\Psi_{S})$ અને દબાણ ક્ષમતા $(\Psi_{P})$ ના સરવાળા જેટલી હોય છે:
$\Psi_{W} = \Psi_{S} + \Psi_{P}$
જલક્ષમતાને અસર કરતા પરિબળો:
$1$. દ્રાવ્ય ક્ષમતા $(\Psi_{S})$: જ્યારે શુદ્ધ પાણીમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે મુક્ત પાણીના અણુઓની સાંદ્રતા ઘટે છે,જેનાથી જલક્ષમતામાં ઘટાડો થાય છે. દ્રાવ્ય ક્ષમતા હંમેશા ઋણ હોય છે.
$2$. દબાણ ક્ષમતા $(\Psi_{P})$: વાતાવરણીય દબાણ કરતાં વધુ દબાણ આપવાથી જલક્ષમતા વધે છે. તે સામાન્ય રીતે ધન હોય છે,જોકે જલવાહકમાં ઋણ દબાણ (તણાવ) જોવા મળે છે,જે વનસ્પતિમાં રસારોહણ માટે મહત્વપૂર્ણ છે.