(N/A) પ્રકૃતિમાં,આપણને કોઈ પણ જાતિના વ્યક્તિગત સજીવો ભાગ્યે જ એકલા જોવા મળે છે; તેમાંથી મોટા ભાગના એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં સમૂહમાં રહે છે,સમાન સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે,આંતરપ્રજનન કરી શકે છે અને આ રીતે વસ્તી બનાવે છે.
જોકે આંતરપ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે સૂચિત છે,છતાં અલિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસ માટે સામાન્ય રીતે વસ્તી ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે,ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ (cormorants),ત્યજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો,વનક્ષેત્રમાં સાગના વૃક્ષો,સંવર્ધન પાત્રમાં બેક્ટેરિયા અને તળાવમાં કમળના છોડ વસ્તીના ઉદાહરણો છે.
વ્યક્તિગત સજીવ પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે,પરંતુ વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણો વિકસિત થાય છે. તેથી,વસ્તી પરિસ્થિતિવિદ્યા એ પરિસ્થિતિવિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે,કારણ કે તે પરિસ્થિતિવિદ્યાને વસ્તી જનીનવિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે.
વસ્તી ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પામે છે,પરંતુ વસ્તી જન્મદર (birth rate) અને મૃત્યુદર (death rate) ધરાવે છે. વસ્તીમાં આ દર પ્રતિ વ્યક્તિ (per capita) જન્મદર અને મૃત્યુદર તરીકે દર્શાવાય છે. આ દર વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર તરીકે પ્રદર્શિત થાય છે.
ઉદાહરણ તરીકે,જો કોઈ તળાવમાં પાછલા વર્ષે કમળના $20$ છોડ હતા અને પ્રજનન દ્વારા $8$ નવા છોડ ઉમેરાયા,જેથી વર્તમાન વસ્તી $28$ થઈ,તો જન્મદર $8/20 = 0.4$ સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ ગણાય છે. જો પ્રયોગશાળામાં $40$ ફળમાખીઓની વસ્તીમાંથી $4$ ફળમાખીઓ એક અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે,તો મૃત્યુદર $4/40 = 0.1$ વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા ગણાય છે.
વસ્તીનું બીજું વિશિષ્ટ લક્ષણ લિંગપ્રમાણ (sex ratio) છે. વ્યક્તિગત સજીવ નર અથવા માદા હોય છે,પરંતુ વસ્તીમાં લિંગપ્રમાણ હોય છે (દા.ત.,વસ્તીના $60 \%$ માદા અને $40 \%$ નર છે).
કોઈ પણ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોની બનેલી હોય છે.