(N/A) વનસ્પતિઓ પરાગનયન માટે બે અજૈવિક (પવન અને પાણી) અને એક જૈવિક (પ્રાણીઓ) કારકોનો ઉપયોગ કરે છે. મોટાભાગની વનસ્પતિઓ પરાગનયન માટે જૈવિક કારકોનો ઉપયોગ કરે છે.
માત્ર થોડી વનસ્પતિઓ જ અજૈવિક કારકોનો ઉપયોગ કરે છે. પવન અને પાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન સાથે સંપર્કમાં આવવું એ એક સંજોગ છે. આ અનિશ્ચિતતા અને પરાગરજના વ્યયને પહોંચી વળવા માટે,પુષ્પો પરાગનયન માટે ઉપલબ્ધ અંડકોની સંખ્યાની સરખામણીમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરે છે. દરેક પ્રકારની વનસ્પતિ તેના પરાગનયનના કારક મુજબ ચોક્કસ લાક્ષણિકતાઓ ધરાવે છે.
પવન દ્વારા પરાગનયન (એનિમોફિલી): અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા પરાગનયન વધુ સામાન્ય છે.
પવન દ્વારા પરાગનયન માટે પરાગરજ હલકી અને અચીકણી હોવી જરૂરી છે જેથી તે પવનના પ્રવાહમાં વહન પામી શકે.
તેઓ ઘણીવાર સુવિકસિત પુંકેસરો અને મોટા,ઘણીવાર પીંછા જેવા પરાગાસન ધરાવે છે જેથી હવામાં ઉડતી પરાગરજને સરળતાથી પકડી શકાય.
પવન દ્વારા પરાગિત પુષ્પોમાં ઘણીવાર દરેક અંડાશયમાં એક અંડક હોય છે અને અસંખ્ય પુષ્પો પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલા હોય છે; તેનું જાણીતું ઉદાહરણ મકાઈનો ડોડો છે. આપણે જે તાંતણા જોઈએ છીએ તે બીજું કંઈ નહીં પણ પરાગાસન અને પરાગવાહિની છે જે પરાગરજને પકડવા માટે પવનમાં લહેરાય છે. ઘાસમાં પવન દ્વારા પરાગનયન ખૂબ સામાન્ય છે.