(N/A) અધિચ્છદીય પેશીઓ પ્રાણી શરીરમાં આવરણ અથવા રક્ષણાત્મક પેશીઓ છે. અધિચ્છદ શરીરના મોટાભાગના અંગો અને પોલાણોને આવરે છે અને વિવિધ શારીરિક તંત્રોને અલગ રાખે છે. ત્વચા,મુખનું અસ્તર,રુધિરવાહિનીઓનું અસ્તર,ફેફસાંના વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકાઓ બધું જ અધિચ્છદીય પેશીઓનું બનેલું છે.
અધિચ્છદીય પેશીના કોષો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે અને એક સળંગ સ્તર બનાવે છે. તેમની વચ્ચે ખૂબ જ ઓછું સિમેન્ટિંગ દ્રવ્ય હોય છે અને આંતરકોષીય અવકાશ લગભગ હોતો નથી. વિવિધ અધિચ્છદના કોષોની પારગમ્યતા શરીર અને બાહ્ય પર્યાવરણ વચ્ચે તેમજ શરીરના વિવિધ ભાગો વચ્ચે પદાર્થોના વિનિમયને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રકાર ગમે તે હોય,તમામ અધિચ્છદ સામાન્ય રીતે નીચેની પેશીઓથી એક બાહ્યકોષીય તંતુમય આધારકલા (basement membrane) દ્વારા અલગ પડે છે.
અધિચ્છદીય પેશીઓ નીચે મુજબના પ્રકારો ધરાવે છે:
$(1)$ સરળ લાદીસમ અધિચ્છદ: અત્યંત પાતળા અને ચપટા કોષો,જે નાજુક અસ્તર બનાવે છે. રુધિરવાહિનીઓ અને ફેફસાંના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે જ્યાં વહન થાય છે.
$(2)$ સ્તૃત લાદીસમ અધિચ્છદ: ઘસારાને રોકવા માટે ઘણા સ્તરોમાં ગોઠવાયેલા હોય છે. ત્વચા અને મુખના અસ્તરમાં જોવા મળે છે.
$(3)$ સ્તંભાકાર અધિચ્છદ: જ્યાં શોષણ અને સ્ત્રાવ થાય છે ત્યાં ઊંચા અધિચ્છદીય કોષો હાજર હોય છે,જેમ કે આંતરડાનું અંદરનું અસ્તર. જો તેમાં પક્ષ્મો (cilia) હોય,તો તેને પક્ષ્મલ સ્તંભાકાર અધિચ્છદ કહેવાય છે,જે શ્લેષ્મને આગળ ધકેલવામાં મદદ કરે છે.
$(4)$ ઘનાકાર અધિચ્છદ: ઘન આકારના કોષો જે મૂત્રપિંડ નલિકાઓ અને લાળ ગ્રંથિઓની નલિકાઓનું અસ્તર બનાવે છે,જે યાંત્રિક આધાર પૂરો પાડે છે.
વધુમાં,કેટલીક અધિચ્છદીય પેશીઓ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિ બનાવે છે,જેને ગ્રંથિય અધિચ્છદ કહેવાય છે.