(N/A) ડાર્વિન વસ્તી પરના થોમસ માલથ્સના કાર્યથી પ્રભાવિત હતા. પ્રાકૃતિક પસંદગી અમુક અવલોકનો પર આધારિત છે જે વાસ્તવિક છે. ઉદાહરણ તરીકે,કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે,વસ્તીનું કદ સ્થાયી છે (ઋતુકીય ફેરફારો સિવાય),વસ્તીના સભ્યો બહારથી સમાન દેખાતા હોવા છતાં લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે (હકીકતમાં કોઈ પણ બે વ્યક્તિઓ એકસરખી હોતી નથી),અને આમાંની મોટાભાગની ભિન્નતાઓ વારસાગત હોય છે.
જો આ તથ્યો સાચા હોય અને જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે,તો સૈદ્ધાંતિક રીતે વસ્તી ઘાતાંકીય રીતે વધશે (જેમ કે બૅક્ટેરિયાની વૃદ્ધિમાં જોવા મળે છે). કારણ કે વસ્તીનું કદ મર્યાદિત છે,તેનો અર્થ એ છે કે સ્ત્રોતો માટે સ્પર્ધા થાય છે. કેટલાક સજીવો અન્યના ભોગે ટકી શક્યા અને વિકાસ પામ્યા,જ્યારે કેટલાક ટકી શક્યા નહીં.
ડાર્વિનની નવીનતા અને તેજસ્વી સૂક્ષ્મદષ્ટિ આ હતી: તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે ભિન્નતાઓ વારસાગત છે અને જે સજીવને સ્ત્રોતોનો ઉપયોગ વધુ સારી રીતે કરવામાં મદદ કરે છે (જેથી તેઓ તેમના વસવાટમાં વધુ સારી રીતે અનુકૂલિત થાય છે),તે જ સજીવોને પ્રજનન કરવા અને વધુ સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનાવે છે. આથી,અનેક પેઢીઓ પછી,આ બચેલા સજીવો વધુ સંતતિ ઉત્પન્ન કરશે અને વસ્તીના લક્ષણોમાં ફેરફાર લાવશે,જેના પરિણામે નવા સ્વરૂપનો ઉદ્દવિકાસ થશે.