(N/A) જન્યુયુગ્મન (ફલન) સજીવના શરીરની બહાર અથવા અંદર થાય છે. તેને આધારે તેને બાહ્યફલન અથવા અંતઃફલન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
બાહ્યફલન: મોટા ભાગના જલજ સજીવો જેવા કે લીલ,માછલીઓ અને ઉભયજીવીઓમાં જન્યુયુગ્મન બાહ્ય માધ્યમ (પાણી) માં થાય છે. આને બાહ્યફલન કહે છે. બાહ્યફલન દર્શાવતા સજીવોમાં નર અને માદા વચ્ચે ખૂબ જ તાલમેલ જોવા મળે છે અને જન્યુયુગ્મનની તક વધારવા માટે તેઓ આસપાસના માધ્યમમાં (પાણી) મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે.
અસ્થિમત્સ્ય અને દેડકામાં મોટી સંખ્યામાં સંતતિઓ ઉત્પન્ન થાય છે. આ પદ્ધતિનો મુખ્ય ગેરફાયદો એ છે કે સંતતિઓ ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ વધારે હોય છે,જે તેમની પુખ્તતા સુધીની જીવિત રહેવાની ક્ષમતાને જોખમમાં મૂકે છે.
અંતઃફલન: ઘણા સ્થળજ સજીવો જેવા કે ફૂગ,ઉચ્ચ પ્રાણીઓ (સરિસૃપ,વિહગ,સસ્તન) અને મોટા ભાગની વનસ્પતિઓ (દ્વિઅંગી,ત્રિઅંગી,અનાવૃત અને આવૃત બીજધારી) માં જન્યુયુગ્મન સજીવના શરીરની અંદર થાય છે. આને અંતઃફલન કહે છે.
આ સજીવોમાં અંડકોષ માદાના શરીરની અંદર સર્જાય છે જ્યાં તે નર જન્યુ સાથે જોડાય છે.
અંતઃફલન દર્શાવતા સજીવોમાં નર જન્યુ ચલિત હોય છે અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચે છે.
જોકે મોટી સંખ્યામાં નર જન્યુઓ ઉત્પન્ન થાય છે,પરંતુ તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે.
બીજધારી વનસ્પતિઓમાં અચલિત નર જન્યુઓ પરાગનલિકાઓ દ્વારા માદા જન્યુ સુધી વહન પામે છે.