ગરમ ઉનાળાના દિવસોમાં,જમીનની નજીકની હવા ઉપરના સ્તરોની હવા કરતા વધુ ગરમ થઈ જાય છે.
હવાનો વક્રીભવનાંક તેની ઘનતા સાથે વધે છે.
ગરમ હવા ઓછી ઘનતા ધરાવે છે અને ઠંડી હવા કરતા ઓછો વક્રીભવનાંક ધરાવે છે.
જો હવાના પ્રવાહો ઓછા હોય,એટલે કે હવા સ્થિર હોય,તો હવાના વિવિધ સ્તરોની પ્રકાશીય ઘનતા ઊંચાઈ સાથે વધે છે.
પરિણામે,ઝાડ જેવી ઊંચી વસ્તુમાંથી આવતો પ્રકાશ એવા માધ્યમમાંથી પસાર થાય છે જેનો વક્રીભવનાંક જમીન તરફ ઘટતો જાય છે. આમ,આવી વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ ક્રમશઃ લંબથી દૂર જાય છે અને જો જમીન નજીકની હવા માટે આપાતકોણ ક્રાંતિકોણ કરતા વધી જાય,તો તે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે.
દૂરના અવલોકનકારને,પ્રકાશ જમીનની નીચે ક્યાંકથી આવતો હોય તેવું લાગે છે. અવલોકનકાર સ્વાભાવિક રીતે માની લે છે કે પ્રકાશ જમીન પરથી પરાવર્તિત થઈ રહ્યો છે,કદાચ ઊંચી વસ્તુની નજીક પાણીના ખાબોચિયા દ્વારા. દૂરની ઊંચી વસ્તુઓના આવા ઉલટા પ્રતિબિંબ અવલોકનકાર માટે દ્રષ્ટિભ્રમ પેદા કરે છે. આ ઘટનાને મૃગજળ કહેવામાં આવે છે.
આ પ્રકારનું મૃગજળ ખાસ કરીને ગરમ રણમાં સામાન્ય છે.
ગરમ ઉનાળાના દિવસે બસ કે કારમાં મુસાફરી કરતી વખતે,રસ્તાનો દૂરનો ભાગ,ખાસ કરીને હાઈવે પર,ભીનો દેખાય છે. પરંતુ,જ્યારે તમે તે જગ્યાએ પહોંચો છો ત્યારે તમને ભીનાશના કોઈ પુરાવા મળતા નથી. આ પણ મૃગજળને કારણે જ થાય છે.